વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે


વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે;
તુ નયન સામે નથી તોપણ મને દેખાય છે.

જ્યાં જુઓ ત્યાં બધે એક જ વદન દેખાય છે;
કોઈને એક વાર જોયા બાદ આવું થાય છે.

એમ તો એનું અચાનક પણ મિલન થઈ જાય છે;
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.

આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઈને બહુ ઝાંખી રીતે મલકાય છે.

એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુ:ખોની પણ ઘટા ઘેરાય છે.

હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.

હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.

પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.

છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.

છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.

– ‘બેફામ’

2 Responses

  1. be-fam aam vahi shu gaya shabdo maa
    anant ek anuraag bhitar akbandh
    vaheti lagni ne sapndno jilta jismi padchhaya
    shu vachashe tamari antertam chhabi ne…….
    rukhsat thayi ne pan koi juda na padi shake
    ne mali ne pan alga ja lage milan ma pan
    kaho dwait ni anubhuti yeh antertam aatma ni
    ne door rahi sarfho thi paar pan ektava bhase,,,

    nice…..be-fam ji
    om

  2. સરસ ખુબ જ ખુબ જ ખુબ જ સરસ ગજલ છે
    ખુબ ખુબ અભિનન્દન

Leave a reply to jenis chauhan જવાબ રદ કરો