શક્યતાની ચાલચલગત


શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?
પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’.

નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં’?
રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’.

પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,
શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા’.

હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે ,
લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા’?

એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે?
તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા’.

– ચિનુ મોદી

ધીર ને ગંભીર થાતાં જાય છે – દિનેશ કાનાણી


ધીર ને ગંભીર થાતાં જાય છે
એ નદીના નીર થાતાં જાય છે !

જિંદગીને જીવવાની હોંશમં
દ્રૌપદીના ચીર થાતાં જાય છે !

સંગ જેનો ખૂબ ગમતો હોય છે
એ બધાં તસવીર થાતાં જાય છે !

લાગણી ને પ્રેમના સંબંધ પણ
સાંકડી જંજીર થાતાં જાય છે !

શબ્દને હું ચાહતો રહું તે છતાં
શબ્દ પોતે તીર થાતાં જાય છે !

– દિનેશ કાનાણી

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના


આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

– મનોજ ખંડેરિયા

ગુજરાતી ગઝલની SMS ચેનલ જોડાવો અને મેળવો ગુજરાતી રચના તમારા મોબાઈલ પર
http://labs.google.co.in/smschannels/subscribe/GujGazal
or
type on your mobile JOIN Gujgazal & send on +919870807070

જ્યોતિ આભની


આવો રે આવો જ્યોતિ આભની !

આ રે કાયા કેરી દીવીમાં
મારા પ્રાણની દિવેટ;
સીધી ઊભી ઉંચા મસ્તકે
સીંચી હૈયાને હેત !

આવો રે આવો જ્યોતિ આભની !

આવો અંજવાળા ઉંચા ગેબના,
મારો પોકારે અંધાર !
મીઠું રે મલકતી તેજલ ઝાળથી ,
શિરને સ્પર્શો પલવાર !

આવો રે આવો જ્યોતિ આભની !

અંધને આધાર ન્હોયે અંધનો ;
આવો અંધના આધાર,
ભાંગો ભીડેલી વજ્જર ભોગળો,
અંજવાળા કરો રે ઝોકાર !

આવો રે આવો જ્યોતિ આભની !

– પ્રજારામ રાવળ

જીવતર એક બગાસું.


ખાલી ખાલી હસવાનું ને સાચાં આ બે આંસુ,
નભને કેવું કોચ્યું તેં કે બાર માસ ચોમાસું.

એકલતાના અડાબીડમાં એવો તો અટવાયો ;
કે આમ ફરું તો દિશા નડે ને આમ ફરું તો પાસું.

દીવાલ ક્યાં છે ? બારી ક્યાં છે ? ક્યાં છે ઉપર નીચે ?
અંદર જેવું છે જ નહિ ત્યાં દરવાજો શું વાસું ?

આમ કરો કે તેમ કરો કે ખેડો સાત સમંદર
મઝા વગરનું કંઈ પણા કરવું ખતરનાક છે ખાસું

ઘણું કર્યું કે કશું કર્યું ના; ખરું કહું થાક્યો છું ;
લાંબી એવી તાણું જાણે જીવતર એક બગાસું.

– સુભાષ શાહ

અસિમ રાંદેરીને આખરી વિદાય


જાણીતા ગુજરાતી ગઝલકાર અસિમ રાંદેરીનું આજે મોડી રાતે ૧૦૫ વર્ષની વયે નિધન થયું હતુ,રાંદેરમાં પહેલો ગુજરાતી મુશાયરો કરનારા અસિમ રાંદેરીને કલાપી એવોર્ડ ,વલી ગુજરાતી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.’લીલા’ નામના પાત્ર પર તેમણે લખેલું પુસ્તક ‘લીલા’ ખુબજ જાણીતુ બન્યુ હતુ,

“કંકોત્રીથી એટલુ પુરવાર થાય છે,
નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર થાય છે”

જેવા શેર ના રચયિતા અસિમ રાંદેરીની વિદાયથી ગુજરાતી ગઝલ ને મહામુલી ખોટ પડવાની છે

આ સાથે તેમની ખુબજ જાણીતી રચના “કંકોત્રી”

મારી એ કલ્પના હતી, વીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,
ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને !
.                  સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
.                  કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે !

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ-કાવ્યોની કોઇ કિતાબ સમ !
.                  જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
.                  શિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મારી ઉપર સભાને હસાવું નહીં કદી,
દીધેલ કૉલ યાદ અપાવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી,
.                  દુઃખ છે હજાર, તો ય હજી એ જ ટેક છે,
.                  કંકોતરી નથી, આ અમસ્તો વિવેક છે !

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે-
જ્યારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.
.                  ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
.                  તકદીરનું લખાણ છે, કંકોતરી નથી !

કાગળનો એક કટકો છે જોવામાં એમ તો,
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો,
સુંદર, સળંગ રમ્ય છે શોભામાં એમ તો,
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો,
.                  કોમળ વદનમાં એના, ભલે છે હજાર રૂપ,
.                  મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ !

એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
સંયમમાં હું રહીશ, બળાપા નહીં કરું,
આવેશમાં એ ‘ફૂલ’ ના કટકા નહીં કરું.
.                  આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
.                  ‘લીલા’ના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં.

‘આસિમ’ ! હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
.                  હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
.                  એ પારકી બની જશે, હું એનો એ જ છું !

-આસિમ રાંદેરી

For Full lyrics Thanks to Mr Vivek Tailor

જેના પડછાયા વડે છાંયો પડયો


જેના પડછાયા વડે છાંયો પડયો,
પહેલા એના પર અહીં તડકો પડયો.

દીકરા સાચે જ તું મોટો થયો,
બાપનો આ મ્હેલ પણ નાનો પડયો ?

રૂપ તો સાબિત થશે, પણ ગુણ વિશે ?
ફૂલની ફોરમનો ક્યાં ફોટો પડયો ?

વાડ તો વેલા તળે ઢંકાઈ ગઈ,
ફૂલ, ડાળી, પાનનો મોભો પડયો.

પાંખ પીંખાઈ અને પીંછા ખર્યાં,
ક્યાં હવામાં એકપણ ગોબો પડયો ?

જળના શ્વાસોશ્વાસ લાગી માછલી,
જાળ નાંખી હું ય છોભીલો પડયો

શ્વાસનો ફુગ્ગો લઈ માણસ અહીં,
ટાંકણીનાં શેહરમાં ભૂલો પડયો.

ગૌરાંગ ઠાકર

કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?


કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?
મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ.

એકાન્તની ક્ષણો, એ અમારે નસીબ ક્યાં ?
સ્વજનો તજીને જાય તો સરજે છે સભા યાદ.

નાનકડા નીલ વ્યોમથી ટપકી રહી’તી જે,
જલધારા ફક્ત યાદ ને મોસમ, ન ઘટા યાદ.

વીસરી ગયો’તો એમને બે ચાર પળ કબૂલ,
આપી ગયા હવે એ જીવનભરની સજા યાદ.

એને પૂછી શક્જો તો કોઈ સંકલન મળે,
મુજને તો ઝાંખી ઝાંખી ને અસ્પષ્ટ કથા યાદ.

એ કલ્પના કે સત્ય હવે ભેદ ક્યાં રહ્યો !
પૂછો છો તો આવે છે મને કંઈક કથા યાદ.

પૂછો તો અંશ માત્ર બતાવી શકું નહીં,
મનમાં તો એની છે મને એકેક અદા યાદ.

હરીન્દ્ર દવે

તું અને હું


તું અને હું જાણે સામા કિનારા
વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદલ વૈશાખના
મૌન કંઈ કહેતું એ શું?

હળવેથી વાતી આ લેહેરાતી
લેહેરખીને લેહેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
એમાં કદબંની છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?

શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલી તો ઓઢીને સુનૂ આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ હ્રુદિયામાં રોતું એ શું?

–સુખદેવ પંડ્યા

મન થઇ જાય છે – ભરત વિંઝુડા


ઝાંઝરીની જેમ ઝણઝણવાનું મન થઇ જાય છે,
પગની સાથે ગીત ગણગણવાનું મન થઇ જાય છે.

કંઇક નદીઓને સમંદરમાં વહેતી જોઇને,
આભમાં વદળાઓને ઝરમરવાનું મન થઇ જાય છે.

કોઇ મારી પાસે આવીને પૂછે કે કેમ છો ?
છું જ નહીં કહીને જ અવગણવાનું મન થઇ જાય છે.

આપણે સાથે નથી એવો સમય વિતાવવા
વ્રુક્ષોના પર્ણો બધા ગણવાનું મન થઇ જાય છે.

જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં
ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે.

– ભરત વિંઝુડા

નવા બે શેર સાથે આ રચના રણકાર.કોમ પર માણો….

જેવી રીતે કાવ્યમાં ગૂંથાઈ જઈએ પ્રાસમાં,
એવી રીતે રાસમાં રમવાનું મન થઇ જાય છે !

એનું અજવાળું થયેલું હોય છે નવરાતમાં
સૌને દિવો થઇને ઝળહળવાનું મન થઇ જાય છે !