કોઈ શું કરે ? – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


એ જ ભણકારા સતત સંભળાય કોઈ શું કરે ?
આપમેળે દ્વાર ખુલી જાય કોઈ શું કરે ?

એ પછી સઘળું ભૂલાતું જાય કોઈ શું કરે ?
કે જો અરીસામાં ય એ દેખાય કોઈ શું કરે ?

જળપરીની વારતાથી છેક ઉપનિષદ સુધી
એક આ મનને ન ગોઠે ક્યાંય કોઈ શું કરે ?

કોઈ આવીને અચાનક કેંદ્રબિંદુ થઈ ગયું
ને એ જ છે આકાશનો પર્યાય કોઈ શું કરે ?

ક્યાંક કોઈ રાહ જોતું એ જ સંગાથે સતત
ને એ જ પાછળ દોડતું દેખાય કોઈ શું કરે ?

                                            –     રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

                                                   (સંગ્રહ – ‘છોડીને આવ તું’)