ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,
મળે છે તે સહુ કહે છે, મજાનો રંગ લાગ્યો છે.
ભલે ના ના કહો, એના વિના ન્હોયે ચમક આવી,
તમે મારું કહ્યું, માનો ન માનો રંગ લાગ્યો છે.
મલકતું મોં અને ચમકી જતી આંખો કહી દે છે,
ભલે છૂપી એ રાખો વાત, છાનો રંગ લાગ્યો છે.
નથી લાલાશ આંખોમાં હૃદય કેરી બળતરાથી,
પડ્યા ચરણોમાં એના કે હિનાનો રંગ લાગ્યો છે.
અહીં ને ત્યાં, બધે એક જ સમંદર રંગનો રેલે,
કહેશે કોણ, કોને કેની પાનો રંગ લાગ્યો છે?
થયો રંગીન વાતો લાવતો ગઝલોમાં તું ‘ગાફિલ’ !
તને આ અંજુમન કેરી હવાનો રંગ લાગ્યો છે.
– મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)
Filed under: મનુભાઈ ત્રિવેદી ('ગાફિલ' 'સરોદ') | Tagged: ‘ગાફિલ’, ‘સરોદ’, અહીં ને ત્યાં, આંખોમાં, કહી દે, ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે, જતી આંખો, નથી લાલાશ, બધે એક જ સમંદર રંગનો રેલે, મનુભાઈ ત્રિવેદી, મલકતું, મોં અને ચમકી, હૃદય કેરી બળતરાથી | 2 Comments »
