અનહદ અપાર વરસે ! – નયના જાની


આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે;

હું કેટલુંક ઝીલું? અનહદ અપાર વરસે !

ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,

એ તો અકળ અમસ્તું બસ વાર-વાર વરસે।

ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું.

આ નેહના ગગનનો સઘળોય સાર વરસે।

હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કંઈ ના કહું તો આવી આવી ધરાર વરસે,

છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
ઘેઘૂર ને ઘૂઘવતો એવો ખુમાર વરસે।

–  નયના જાની

ભીંજાવું


બંસરીના સૂરમાં ભીંજાવું
સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.

બંસરીના સૂર આંખ મીંચીને સાંભળું ત્યાં,
આછું અડકે મોરપીંછું.
પીંછાનાં રંગો તો સાત સાત સૂર અને
સૂર મહીં મેઘધનુષ દીઠું,
આવું રે કરે ને વળી પોતે સંતાઈ રહે
મારે ક્યાં રે રહેવું ને ક્યાં જાવું?

સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.

લોક કહે છે આ જોગણ વેરાગણ રે
સઘળું છોડીને આ તો હાલી,
જોગ ને વેરાગ બેની હું રે શું જાણું
મને લાગે છે વાંસલડી વાલી.
વ્હાલપનો સાગર છલકાય બ્હાર અંદર, હું
છાલકને ક્યાં રે સમાવું?

સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.

                                                                 – નયના જાની