પંખીપણું – કૃષ્ણ દવે


એક પણ વળગણ નથી ને, એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.
સ્હેજ પણ સમજણ નથી ને, એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

એ જરૂરી છે જ નહીં કે રોજ એની એ જ ડાળી પર ફરી પાછા જવું, ને આમ મારે-
કોઈ એક જ ઘર અને આંગણ નથી ને, એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

એક ભીનો આવકારો આંખમાં રોપી લીલીછમ્ રાહ જોતાં વૃક્ષની પાસે જવાનાં-
આવવાનાં કોઈ પણ કારણ નથી ને, એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

પંથ આખો છે હવાનો એટલે હળવા થવાનો, ને જુઓ આ પંથ માટે-
કોઈ નિયમો કોઈ બંધારણ નથી ને, એટલો તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

આ ગણતરીના લબાચાને અહીં નીચે મૂકીને પાંખ બે વિશ્વાસની

પ્હેરી જરા ઊડી જુએને તો જ- સમજાશે તને કે ક્યાંક આ

પંખીપણામાં એક બે કે ત્રણ નથી ને, એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

– કૃષ્ણ દવે

સટ્ટાખોર વાણિયો – પ્રેમશંકર ભટ્ટ


સટ્ટાખોર વાણિયો મુંબઈમાં રહેતો,
દાડી દાડી હનુમાનને હાથ જોડી કહેતો;

“અંતરયામી બાપ તમે જાણો મારી પીડ,
પાંચસો જો અપાવો તો ભાંગે મારી ભીડ,

પાંચસો જો અપાવો તો પાઠ પૂજા કરું,
શનિવારે પાઈ પાઈનું તેલ લાવી ધરું.”

એક દાડો હનુમાનને એવી ચડી ચીડ,
પથ્થરમાંથી બેઠા થયા, નાખી મોટી રીડ

“પૂજારીનો ઓશિયાળો ખાવા દે તો ખાઉં,
કેમ કરી ભૂંડા હું તો તારી વહારે ધાઉં ?

પાંચસોને બદલે આપે પાઈ પાઈનું તેલ,
પૂછડું દેખી મૂરખ મને માની લીધો બેલ ?

પાંચસો જો હોય તો તો કરાવું હું હોજ,
ભરાવું ને તેલ, પછી ધૂબકા મારું રોજ.”

– પ્રેમશંકર ભટ્ટ

મારા મામા પાસેથી આ ઘણીવાર સાંભળેલું… અને સાંભળીને ખુબ હસવું પણ આવતું.. આજે એક કઝીને આ યાદ કરાવ્યું એટલે ડાયરી ખોલીને અહીં ઉતાર્યું…