પંખીપણું – કૃષ્ણ દવે


એક પણ વળગણ નથી ને, એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.
સ્હેજ પણ સમજણ નથી ને, એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

એ જરૂરી છે જ નહીં કે રોજ એની એ જ ડાળી પર ફરી પાછા જવું, ને આમ મારે-
કોઈ એક જ ઘર અને આંગણ નથી ને, એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

એક ભીનો આવકારો આંખમાં રોપી લીલીછમ્ રાહ જોતાં વૃક્ષની પાસે જવાનાં-
આવવાનાં કોઈ પણ કારણ નથી ને, એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

પંથ આખો છે હવાનો એટલે હળવા થવાનો, ને જુઓ આ પંથ માટે-
કોઈ નિયમો કોઈ બંધારણ નથી ને, એટલો તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

આ ગણતરીના લબાચાને અહીં નીચે મૂકીને પાંખ બે વિશ્વાસની

પ્હેરી જરા ઊડી જુએને તો જ- સમજાશે તને કે ક્યાંક આ

પંખીપણામાં એક બે કે ત્રણ નથી ને, એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.

– કૃષ્ણ દવે

Leave a comment