સમજાવ આંખને – ડૉ. મનોજ જોશી ‘મન’


હવેથી એક પણ સપનું ઘડે નહીં,
જરા સમજાવ આંખોને ! રડે નહીં.

ખબર નહીં આ પવનને વેર શું છે ?
તને અડક્યા પછી અમને અડે નહીં !

જરા શરમાળ છે પીડા અમારી,
અમસ્તી એમ એ નજરે ચડે નહીં.

વધે તો આંખ કે દિલમાં રહે બસ,
તરસ ક્યારેય દરિયામાં પડે નહીં !

ખરેખર ક્યાંય ખોવાયું નથી એ,
ઘણું શોધ્યાં પછી પણ જે જડે નહીં.

 - ડૉ. મનોજ જોશી 'મન

Leave a comment