છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને – અનિલ ચાવડા


છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.

પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.

ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.

આંસુ આંખોનાં પ્રવાહી થઈ ગયેલા શબ્દ છે,
ચાલ નવરો હોય તો થોડીક લિપિ ઉકલાવને.

ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.

-અનિલ ચાવડા
(“લયસ્તરો” ના સૉજન્યથી)

4 Responses

  1. hi, vicharta kari de tevi chhe.sunder

  2. very good. think deeply to enjoy every line.

  3. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
    તારા રૂપની પૂનમનો પાગલ એકલો .
    આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
    તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
    તારી મસ્તીનો મતવાલો આશક એકલો.
    પાંખોની પરખે પરબડી, આંખો જુએ પિયાવો
    અદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવો
    તારા રંગનગરનો રસિયો નાગર એકલો.
    -વેણીભાઈ પુરોહિત
    ફરમાઇશ કરનાર : ઊર્મિલ પટેલ
    સૌજન્ય : ટહુકો.કોમ

Leave a comment