પલળવું જોઈએ


પામવું જો હોય ચોમાસું, પલળવું જોઈએ;
છાપરું, છત કે નયન થઈનેય ગળવું જોઈએ.

એ શરત છે કે પહેલાં તો પ્રજળવું જોઈએ;
તે પછી લેખણથી શબ્દોએ ‘પીગળવું’ જોઈએ.

સૂર્યની માફક ઊગ્યા છો તે ઘણું સારું થયું;
સૂર્યને માફક સમયસર કિન્તુ ઢળવું જોઈએ;

માત્ર શોભા પૂરતા અસ્તિત્વનો શો અર્થ છે?
પુષ્પ છો તો શ્વાસ છોડીને પીગળવું જોઈએ.

છે ઘણી રેખા વિરહની હાથમાં એ છે કબૂલ ;
પણ નવી રેખાઓ ચીરીનેય મળવું જોઈએ.

માત્ર શબવત જિંદગી જીવી ગયાનો અર્થ શો ?
છે રગોમાં લોહી તો લોહી ઊકળવું જોઈએ.

આવી પહોંચ્યું છે જળાશય આંખનું ; હું જાઉં છું;
ને તમારે પણ અહીંથી પાછા વળવું જોઈએ.

– ભગવતીકુમાર શર્મા

3 Responses

  1. Nice gazal
    aetalu to shuddh anter saaf hovu joiye
    ne navodito ne mali na ko di jalvu joiye…

  2. આવી પહોંચ્યું છે જળાશય આંખનું ; હું જાઉં છું;
    ને તમારે પણ અહીંથી પાછા વળવું જોઈએ.

    saras gazal no saras sher.

Leave a comment